રાજકીય નેતાઓ ગરીબો અને દલિતોના ઝૂંપડામાં જઇને પક્ષને મત આપવા જનતા જનાર્દનને રીઝવી રહ્યાં છે
ત્યારે એક યુવરાજ એવો હતો જે બાળપણમાં ગાયો ચરાવતો
હતો પણ તે નસીબનો બળિયો હતો. તે 18 વર્ષની વયે એક રજવાડાની ગાદીએ બેઠો અને
પછી પોતાનું જીવન અંત્યજો અને પ્રજાના
ઉદ્ધાર માટે સમર્પિત કરી દીધું. આ ગોવાળિયાનું નામ ગોપાળરાવ હતું જે પાછળથી વડોદરાના પ્રજાપરાયણ મહારાજ સયાજીરાવ ગાયકવાડ તરીકે
ઓળખાયા. 11 માર્ચના રોજ તેમનો 146મો જન્મદિવસ હતો. આ પ્રસંગે
મહારાજા સયાજીરાવની જીવનની અને તેમના સમાજપયોગી
કાર્યોની થોડી ઝાંખી મેળવીએ.
ગોવાળમાંથી રાજકુમાર
વડોદરાના રાજવી ખંડેરાવને કોઈ સંતાન ન હતું। તેમણે તેમના નાના ભાઈ મલ્હારાવે ગાદીએ બેસાડ્યા.
પણ તેઓ પ્રજા પર જુલમ ગુજારાતા હતા એટલે તેમને રાજગાદી પરથી ઉઠાડી
મૂકવામાં આવ્યાં. તે પછી પરંપર મુજબ, ગાયકવાડ વંશમાંથી કોઈ પણ બાળક દત્તક લેવાનો હક મહારાણી જમનાબાઈને મળ્યો. તેમણે મહારાષ્ટ્રના
નાસિક જિલ્લામાં કવલાણા ગામમાં રહેતા ગાયકવાડ
કુટુંબ કાશીરાવ ગાયકવાડના ત્રણ પુત્રો-આનંદરાવ,
ગોપાળરાવ
અને સંપતરાવમાંથી વચેટ ગોપાળરાવની પસંદગી કરી. તે સમયે
ગોપાળરાવ ગાયો ચરાવતા હતા. તેઓ અભણ હતા.
સયાજીરાવ અને શિક્ષણ
દત્તક લેવાયા પછી મહારાણીએ ગોપાળરાવનું નામ સયાજીરાવ રાખ્યું। તેમને શિક્ષણ આપવા
ગુજરાતી
અને મરાઠી શિક્ષકો રાખવામાં આવ્યા. પછી જમાનબાઈએ રાજકુટુંબના
બાળકોને
વ્યવસ્થિત કેળવણી મળે તે માટે એક ખાસ શાળા દરબારગઢમાં શરૂ કરી, જેના
વડા ઇલિયટ નામના અંગ્રેજ થયા. અહીં સયાજીરાવે ગુજરાતી, મરાઠી,
ઉર્દૂ અને અંગ્રેજી ભાષાનું શિક્ષણ લીધું. તેમણે ઇ. સ. 1881ની
આઠમી ડીસેમ્બરે અઢાર વર્ષની વયે વડોદરાનો
સંપૂર્ણ વહીવટ સંભાળ્યો. તેમણે 60 વર્ષ શાસન કર્યું
હતું.
લગ્ન
સયાજીરાવ ગાદીએ બેઠા પછી મહારાણી જમાનાબાઈએ તેમના લગ્ન કરવાનું
વિચાર્યું। તેમણે વિવિધ રજવાડાઓની રાજકુમારીઓ પર નજર દોડાવી અને દક્ષિણ ભારતના
તાંજોર રાજ્યમાં રહેતા હૈબતરાવ નારાયણરાવ
મોહિતેની પુત્રી લક્ષ્મીબાઈ પર તેમની નજર ઠરી.
મહારાષ્ટ્રમાં લગ્ન પછી નવવધુને સાસરીમાં નવું નામ આપવાની પરંપરા છે. આ પરંપરા મુજબ જમાનાબાઈએ લક્ષ્મીબાઈનું નામ ચીમણાબાઈ રાખ્યું.
જોકે મહારાણીના મૂળ નામ પરથી વડોદરાના એક
મહેલને લક્ષ્મીવિલાસ પેલેસ નામ આપવામાં આવ્યું
છે. સયાજીરાવ અને ચીમણાબાઈના બે વર્ષના સુખી-સંપન્ન લગ્નજીવન પછી યુવરાજ ફતેહસિંહરાવનો જન્મ થયો. પછી એક દિકરીનો જન્મ થયો.
પરંતુ ઇ. સ. 1885માં મહારાણી ચીમણાબાઈનું અચાનક અવસાન થયું. તેમની યાદમાં
સયાજીરાવે એક વિશાળ ઇમારત બંધાવી, જે
અત્યારે ન્યાયમંદિર તરીકે જાણીતી છે. તે પછી સયાજીરાવે
બીજા લગ્ન કર્યા.
કેળવણીકાર
સયાજીરાવે પ્રજાના વિકાસ માટે અનેક કાર્યો કર્યા। તેમાં સૌથી વધારે મહત્વપૂર્ણ કાર્ય કેળવણીનું
છે. તેમણે 1893ની સાલમાં મફત અને ફરજિયાત કેળવણીના પ્રથા દાખલ કરી. સમગ્ર હિંદુસ્તાનમાં આવું પગલું ભરનાર સયાજીરાવ સૌપ્રથમ
રાજવી હતા. તે પછી ફરજિયાત અને મફત કેળવણીનો
વ્યાપ હાઈસ્કૂલો અને કોલેજ સુધી વિસ્તાર્યો. રાજ્યના
યુવાનોને ઉદ્યોગો સ્થાપવાની તાલીમ આપવા કલાભવનની સ્થાપના કરી. ગામડાની પ્રજાને ખેતીવાડીનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની
વ્યવસ્થા કરી. સૌથી વિશેષ તો મહારાજા સયાજીરાવ
યુનિવર્સિટીની સ્થાપના કરી. તેમાંથી સ્નાતક થયેલા
અનેક વિદ્યાર્થીઓએ આજે જે તે ક્ષેત્રમાં નામના મેળવી છે. કેળવણીનો વ્યાપ વધારવા રાજ્યના ગામડે ગામડે પુસ્તકાલયો શરૂ કર્યા.
રાજભાષા ગુજરાતી
સયાજીરાવ સાહિત્યરસિક હતા। પોતે
મહારાષ્ટ્રીયન હતા. તે સમયે વડોદરા રાજ્યની પ્રજાનો મોટો
ભાગ પણ મરાઠીભાષી હતો. તેમ છતાં વડોદરા, ગુજરાતનો જ ભાગ હોવાથી રાજ્યભાષા ગુજરાતી જ ઠેરવી. ગુજરાતી ભાષામાં અનેક સુંદર
પુસ્તકો પ્રગટ કરાવ્યાં. ગુજરાતના પ્રાચીન
કવિઓનાં કાવ્યોની પ્રાચીન કાવ્યમાળાની શ્રેણી શરૂ
કરી. ઇ. સ. 1912માં વડોદરામાં ગુજરાતી લેખકોની પરિષદ ભરાઈ હતી. તેમાં તેમણે લોકોપયોગી પુસ્તકો પ્રગટ કરવા બે લાખ રૂપિયાનું ભંડોળ
જુદું રાખવાની જાહેરાત કરી હતી.
સમાજસુધારક
સયાજીરાવ એક સારા સમાજસુધારક હતા। તેમણે
અંત્યજો માટે ઇ. સ. 1882થી શાળાઓ શરૂ કરી.
અંત્યજ
બાળકો માટે છાત્રાલયો શરૂ કર્યા. ભારતના દલિતનેતા આજે જેમના નામનો દૂરપયોગ કરી દલિતોને ભડકાવી ગાદીપતિ અને અબજોપતિ થઈ ગયા છે
તેવા ભીમરાવ આંબેડકર પણ સયાજીરાવની મદદથી પરદેશ
અભ્યાસ કરવા ગયા હતા. તેઓ સ્ત્રીકેળવણીનું
મૂલ્ય બહુ સારી રીતે સમજતાં હતા. તેમણે સમાજમાં પ્રવર્તતા ખોટા
રીતરિવાજો દૂર કરવા અનેક કાયદા બનાવ્યાં હતા. બાળલગ્ન પર પ્રતિબંધ મૂકી દીધો. વિધવાવિવાહને કાયદેસર બનાવ્યાં. જ્યારે ગાંધીજી
ભારતથી સેંકડો માઇલ દૂર દક્ષિણ આફ્રિકામાં
હિંદી નાગરિકોને સમાન અધિકાર મળે તે માટે લડત ચલાવતા
હતા ત્યારે સયાજીરાવે વડોદરા રાજ્યમાં અસ્પૃશ્યતાનિવારણ કર્યું હતું. જનતા જનાર્દનનો મત સ્વીકારવા ધારાસભાની સ્થાપના કરી.
સંગીતશાળા
ગુજરાતનાં દેશી રાજ્યોમાં સંગીત માટે સૌથી વધુ વ્યવસ્થિત પ્રયાસો મહારાજા
સયાજીરાવે કર્યા હતા। વડોદરામાં સંગીત-પ્રવૃત્તિનો પારંભ ખંડેરાવ મહારાજાના સમયથી
થયો હતો. તેમણે મૈસૂરના રાજગાયક મૌલાબક્ષને
વડોદરાના રાજદરબારની શોભા વધારવા આમંત્રણ
આપ્યું હતું. તે પછી 1886માં સયાજીરાવે વડોદરામાં સંગીતશાળા શરૂ કરી. તેના પહેલાં આચાર્ય તરીકે મૌલાબક્ષની નિમણૂક કરી. તેઓ મૌલા
વીણાવાદક હતા. આ સંસ્થા અત્યારે સંગીત, નૃત્ય
અને નાટ્યકલાના શિક્ષણ માટેની આગવી સંસ્થા છે.
વડોદરાએ મૌલાબક્ષ ઉપરાંત ખાંસાહેબ અબ્દુલકરીમખાં, ફૈયાઝખાં,
નાસિરખાં,
ફિદાહુસૈન,
ફૈજમહમ્મદ,
ગણપતરામ,
આતાહુસેન,
અમીરખાં,
ઇનાયત
હુસૈન, ગંગારામ તખવાજી, હીરાબાઈ બડોદેકર, લક્ષ્મીબાઈ
જાદવ, મીરા ખાંડેકર વગેરે અનેક
સંગીતકારોને રાજ્યાશ્રય આપ્યો હતો. મહારાજાએ 1916માં ભારતની
સૌપ્રથમ સંગીત પરિષદ બોલાવી હતી. વડોદરાના
દરબારના ઉત્તમ કલાકારો અઠવાડિયે એક વાર જાહેરમાં
લોકો માટે ગાતા હતા.
ગુજરાતમાં જ્ઞાનપ્રચાર,
કલાપ્રચાર,
વિજ્ઞાન
અને ટેકનિકલ શિક્ષણ, ગ્રામસુધાર, અંત્યજોદ્વાર, નારીવિકાસ
અને રાષ્ટ્રપ્રેમની ચિંતા અને પુરુષાર્થ કરનાર આ વિરાટ
પુરુષ માત્ર ગુજરાતના જ નહિ, પણ ભારતના મહાપુરુષ તરીકે અમર રહેશે. તેમનું અવસાન છઠ્ઠી ફેબ્રુઆરી, 1939ના રોજ થયું
હતું.